ઉત્તર કર્ણાટકના બેલાગવી જિલ્લાના બેલાગવી તાલુકાના ખેતમજૂર શાંતા કાંબલે કહે છે, “આ સરકારને ખેડૂતોની કોઈ પરવા જ નથી. એ તો મોટા મોટા નિગમોની જ તરફદારી કરે છે. એપીએમસી પણ એમને (મોટા નિગમોને) આપી દેવાના છે. સરકાર એ લોકોને (મોટા નિગમોને) મદદ કરી રહી છે, ખેડૂતોને કેમ નહીં ?”.
શહેરના મધ્ય ભાગમાં મેજેસ્ટિક વિસ્તારમાં આવેલા બેંગલુરુ સિટી રેલ્વે સ્ટેશન નજીક રોડ ડિવાઇડર પર બેસીને શાન્તા બપોરના સમયે તેમની આસપાસ ગુંજી રહેલા ‘કેન્દ્ર સરકારા ધિક્કારા’ (ધિક્કાર છે કેન્દ્ર સરકારને) ના નારા સાંભળી રહ્યા હતા.
50 વર્ષના શાંતા પ્રજાસત્તાક દિને યોજાયેલ ખેડૂતોની વિરોધ રેલીમાં ભાગ લેવા 26 મી જાન્યુઆરીએ સવારે બસમાં બેંગલુરુ પહોંચ્યા હતા. તે દિવસે સવારે કર્ણાટકને ખૂણેખૂણેથી ખેડૂતો અને ખેતમજૂરો ટ્રેન અને બસો દ્વારા મેજેસ્ટિક આવી રહ્યા હતા જેથી તેઓ - ત્યાંથી બે કિલોમીટર દૂર - ફ્રીડમ પાર્ક જઈ શકે અને ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર પરેડને ટેકો આપવા યોજવામાં આવેલ બેઠકમાં ભાગ લઈ શકે.
ત્યાં ગામમાં શાંતા મજૂરીના રોજના 280 રુપિયા કમાય છે. તેઓ બટાટા, કઠોળ અને મગફળી જેવા પાકની વાવણીનું અને ખેતીની જમીનમાં નીંદણ કરવાનું કામ કરે છે. ખેતીનું કામ ન હોય ત્યારે તેઓ મનરેગાના કામો કરે છે. તેમના 28 અને 25 વર્ષની ઉંમરના બે દીકરા મનરેગા હેઠળ મળતું બાંધકામનું કામ કરે છે.
તેમણે કહ્યું, “[કોવિડ -19] લોકડાઉન દરમિયાન અમારી પાસે નહોતું સરખું ખાવાનું કે નહોતું સરખું પીવાનું પાણી. પણ સરકારે ક્યારેય અમારી પરવા કરી નથી. ”
રેલ્વે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં ખેડૂતોનું એક જૂથ નારા લગાવી રહ્યું હતું, “અમારે એપીએમસી જોઈએ છે. નવા કાયદાઓ રદ કરો. "



ઉત્તર કર્ણાટકના શાંતા કાંબલે (ડાબે) અને કૃષ્ણા મૂર્તિ (વચ્ચે) બેંગલુરુમાં. પી. ગોપાલ કહે છે, 'આ સરકાર લોકશાહી આંદોલનની વિરુદ્ધ છે.'
ગયા વર્ષે સરકાર સંચાલિત એપીએમસી (એગ્રિકલચર પ્રોડયુસ માર્કેટિંગ કમિટી - ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ને કારણે 50 વર્ષના કૃષ્ણા મૂર્તિને ખૂબ મદદ મળી હતી. અનિયમિત વરસાદને પગલે બલ્લારી જિલ્લાના બલ્લારી તાલુકાના બાનપુરા ગામના આ ખેડૂતના કેટલાક પાક - કપાસ, મકાઈ, રાગી, ધાણા અને તુવેર - નિષ્ફળ ગયા હતા. તેમના 50 એકરના ખેતરમાં જે બાકી બચ્યું હતું તે લઈને તેમણે એપીએમસીમાં વેચ્યું. મૂર્તિએ કહ્યું, "ખેતીમાં ખાસ્સો ખર્ચો કરવો પડે છે. અમે એકરદીઠ લગભગ લાખ [રુપિયા] નો ખર્ચો કરીએ છીએ અને જેટલો ખર્ચો કરીએ છીએ તેના અડધા પૈસા ય હાથમાં આવતા નથી."
ભારતભરના ખેડૂતોને એક કરનાર આ ત્રણ કૃષિ કાયદાઓ છે: કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં વર્તમાન સરકાર દ્વારા ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા
મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય નવા કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
બેંગલુરુમાં ખેડૂતોએ સાથે મળીને સૂત્રોચ્ચાર કર્યા, ‘ઓપ્પોડિલ્લા ! ઓપ્પોડિલ્લા! ’ (અમને એ મંજૂર નથી.)
કર્ણાટક રાજ્ય રઈથા સંઘ (કેઆરઆરએસ) ના રાજ્ય સચિવ પી. ગોપાલે જણાવ્યું હતું કે, "અમે આ ત્રણ જુલમી કૃષિ કાયદાઓ તાત્કાલિક રદ કરવાની માંગ કરીએ છીએ." તેમણે ઉમેર્યું, "રાજ્યના લગભગ 25 થી 30 સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. કર્ણાટકભરમાંથી 50000 થી વધુ ખેડૂતો અને મજૂરો આવી રહ્યા છે. માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ વિરોધ કરી રહ્યા છે એવો કેન્દ્ર સરકારનો દાવો સદંતર ખોટો છે.”

બેંગલુરુમાં પ્રજાસત્તાક દિનની ખેડૂત રેલીમાં લગભગ 30 સંગઠનોએ ભાગ લીધો હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓ અને કાર્યકરો પણ આ આંદોલનમાં જોડાયા હતા
ગોપાલે જણાવ્યું, “આ સરકાર ખેડૂતોની વિરુદ્ધ છે. અહીં કર્ણાટકમાં પણ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સ્પષ્ટપણે મોટા નિગમોના પક્ષે છે. તેમણે મોટી કંપનીઓની તરફેણમાં [2020 માં] જમીન સુધારણા કાયદામાં સુધારો કર્યો અને એકપક્ષી રીતે ગૌહત્યા બિલ પણ રજૂ કર્યું."
હવેરી જિલ્લાના શિગગાંવ તાલુકાના 36 વર્ષના ખેડૂત એ. મમતા રેલ્વે સ્ટેશનની બહાર મહિલાઓના જૂથ સાથે ઊભા હતા. તેઓ તેમની નવ એકરની ખેતીની જમીન પર કપાસ, રાગી અને મગફળી ઉગાડે છે. તેમણે જણાવ્યું, “નથી જોઈતી અમારે કોર્પોરેટ મંડીઓ. તેના બદલે સરકારે એપીએમસીને વધુ મજબૂત બનાવવી જોઈએ અને વચેટિયાઓને ખતમ કરવા જોઈએ. સરકારે ખેડૂતો પાસેથી સીધા જ પાક ખરીદવા વધુ કાર્યક્ષમ પદ્ધતિઓ અપનાવવી જોઈએ."
તેની આસપાસના ટોળાએ નારા લગાવ્યા, "નવા કાયદા અદાણી, અંબાણી માટે છે."
રેલ્વે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારના એક ખૂણામાં મુસાફરી કરીને આવેલા આંદોલનકારીઓને કાગળની પ્લેટોમાં ગરમ ભોજન પીરસાઈ રહ્યું હતું. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની રાજ્યવ્યાપી સંસ્થા કર્ણાટક મંગલમુખી ફાઉન્ડેશન (કેએમએફ) ના સભ્યોએ ગરમાગરમ પુલાવ તૈયાર કર્યો હતો. કેએમએફના જનરલ સેક્રેટરી અરુંધતી જી. હેગડેએ કહ્યું, “આ તો આપણી ફરજ છે. ખેડૂતોએ ઉગાડેલું અનાજ ખાઈને જ તો આપણે ઉછર્યા છીએ. તેમના ઉગાડેલા ચોખા જ આપણે ખાઈએ છીએ.
ચિકમગલગુરુ જિલ્લાના તારીકેરે તાલુકામાં કેએમએફની પાંચ એકર જમીન છે. આ સંગઠન તે જમીનમાં ડાંગર, રાગી અને મગફળીની ખેતી કરે છે. અરુંધતીએ કહ્યું, “અમે બધા ખેડૂત પરિવારોમાંથી આવીએ છીએ. તેથી અમે જાણીએ છીએ કે આ વિરોધ કેટલો મહત્વપૂર્ણ છે. અમે અહીં આ આંદોલનમાં અમારી ભૂમિકા નિભાવી રહ્યા છીએ."


બેંગલુરુ રેલ્વે સ્ટેશન પર અરુંધતી જી. હેગડે (ગુલાબી રંગની સાડીમાં) અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના જૂથ કર્ણાટક મંગલમુખી ફાઉન્ડેશનના અન્ય સભ્યોએ મુસાફરી કરીને આવેલા આંદોલનકારીઓને ગરમાગરમ પુલાવ પીરસ્યો હતો
પરંતુ 26 મી જાન્યુઆરીએ 1 વાગ્યા સુધીમાં પોલીસે મેજેસ્ટિક વિસ્તારને ઘેરી લીધો અને આંદોલનકારીઓને બેઠક માટે ફ્રીડમ પાર્ક તરફ આગળ વધતા અટકાવ્યા.
કેઆરઆરએસ નેતા ગોપાલે જણાવ્યું, “રાજ્ય સરકાર આ લોકશાહી આંદોલનોની વિરુદ્ધ છે. વિરોધને ડામવા સરકાર પોલીસનો ઉપયોગ કરી રહી છે." તેમણે ઉમેર્યું હતું કે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અને કાર્યકરો પણ તેમનું સમર્થન વ્યક્ત કરવા શહેરમાં આવ્યા હતા.
(પોલીસે લીધેલા) આત્યંતિક પગલાથી બલ્લારીના ખેડૂત ગંગા ધનવરકર ગુસ્સે થયા હતા. “અમે કંઈ મૂરખ નથી કે અમારા ઘર, કુટુંબ અને ખેતરો છોડીને કોઈ કારણ વગર અહીં વિરોધ દર્શાવવા આવીએ. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં 150 થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. ત્યાં હાડ થીજાવી દે તેવી ઠંડીમાં તેઓ તેમના બાળકો સાથે રસ્તાઓ પર તંબુમાં રહે છે.”
વિરોધ કરવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે “આ કાયદા સામાન્ય લોકો, ખેડૂતો કે મજૂરો માટે નથી. એ માત્ર કંપનીઓ માટે છે. ”
કવર ફોટો: અલમાસ મસૂદ
અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક