આપણે શ્રી ભદ્રિયા માતાજી મંદિરના લગભગ 200 વર્ષ જૂના માળખાની નીચે જેમ જેમ સીડી ઊતરતા જઈએ છીએ તેમ તેમ મંદિરના પ્રવેશદ્વાર પર ગાઈ રહેલા સંગીતકારોના અવાજો ધીમે ધીમે શમતા જાય છે. અચાનક બધા જ અવાજો સંભળાતા બંધ થઈ જાય છે - હવે આપણે જમીનથી 20 ફૂટ નીચે છીએ.
આપણી નજર સામે છે લગભગ 15000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ પુસ્તકાલયનો નજારો, રચનાની દ્રષ્ટિએ આ પુસ્તકાલય એક ભુલભુલામણી જેવું છે. સાંકડા કોરિડોરમાં થોડા થોડા અંતરે 562 અલમારીઓ હારબંધ મૂકેલી છે, તેમાં બે લાખથી વધુ પુસ્તકો છે. ચામડાથી બાંધેલા ગ્રંથો, (ઝાડની) છાલ પર લખેલી જૂની હસ્તપ્રત, હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી અને બીજા ધર્મોના પુસ્તકોની જૂની આવૃત્તિઓ અને પેપરબેકથી માંડીને કાયદા અને ચિકિત્સા, ફિલસૂફી, ભૂગોળ, ઈતિહાસ વિગેરે વિવિધ વિષયો પરના નવા-નવા પુસ્તકોનો વિશાળ સંગ્રહ અહીં મળી રહેશે. ઉત્કૃષ્ટ શિષ્ટ સાહિત્ય અને આધુનિક નવલકથાઓથી સાહિત્ય વિભાગ પણ સમૃદ્ધ છે. મોટા ભાગના પુસ્તકો હિન્દીમાં છે, કેટલાક અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ છે.
આ પુસ્તકાલયની સ્થાપના કરવાનો વિચાર પંજાબના ધાર્મિક વિદ્વાન હરવંશ સિંહ નિર્મલનો હતો. કહેવાય છે કે તેમણે જીવનના 25 વર્ષ મંદિરના પરિસરમાં એક ગુફામાં એકાંતવાસમાં ગાળ્યા હતા અને મંદિરની નીચે પુસ્તકાલય બનાવવાનું નક્કી કર્યું હતું. 2010 માં નિર્મલનું અવસાન થયું, પરંતુ તે પહેલા જ તેમણે તેમના હૃદયની સૌથી નજીકના બે કારણો - શિક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પૂરતું ભંડોળ એકત્ર કરી લીધું હતું.
શ્રી જગદંબા સેવા સમિતિના સેક્રેટરી જુગલ કિશોર કહે છે “તેઓ સાચા માનવતાવાદી હતા. બધા ધર્મોનો સાર એક જ છે: કે માણસની ચામડીનો રંગ અલગ-અલગ હોઈ શકે, વાળનો રંગ અલગ-અલગ હોઈ શકે, પરંતુ અંદરથી આપણે બધા એકસરખા જ છીએ.” આ ટ્રસ્ટ મંદિર અને પુસ્તકાલયનું સંચાલન કરવા ઉપરાંત 40000 થી વધુ ગાયો માટેની ટ્રસ્ટની ગૌશાળા પણ સંભાળે છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ધોલિયા નજીક શ્રી ભદ્રિયા માતાજી મંદિર ખાતે ભૂગર્ભ પુસ્તકાલય


ડાબે: સ્વર્ગસ્થ શ્રી હરવંશ સિંહ નિર્મલ એક ધાર્મિક વિદ્વાન હતા, તેમણે આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. જમણે: જુગલ કિશોર, શ્રી જગદંબા સેવા સમિતિના સચિવ, આ ટ્રસ્ટ મંદિર, પુસ્તકાલય અને ગૌશાળાનું સંચાલન કરે છે
પુસ્તકાલયનું બાંધકામ 1983માં શરૂ થયું હતું અને 1998 સુધીમાં તેનું માળખું તૈયાર થઈ ગયું હતું. ત્યાર બાદ પુસ્તકોની શોધ શરૂ થઈ. કિશોર કહે છે, "તેઓ [નિર્મલ] આ પુસ્તકાલયને જ્ઞાનના કેન્દ્ર તરીકે, એક યુનિવર્સિટી તરીકે વિકસાવવા માગતા હતા, મહારાજા જી ઈચ્છતા હતા કે લોકો દૂર-દૂરથી આ સ્થળ શોધતા અહીં આવે, અને જ્ઞાનની શોધમાં અહીં આવતા લોકોને બીજે ક્યાંય ઉપલબ્ધ ન હોય તેવું તમામ જ્ઞાન અહીં સરળતાથી મળી રહે."
પુસ્તકાલયના સંચાલકોના કહેવા પ્રમાણે નુકસાન અને ધૂળને શક્ય તેટલા ટાળવા માટે પુસ્તકાલય માટે ભૂગર્ભમાં સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું - ભારતીય સેનાની ફાયરિંગ રેન્જ, પોખરણ અહીંથી 10 કિલોમીટર દૂર છે, અને રાજસ્થાનના ઘાસના મેદાનોમાં વંટોળિયો ઊઠે છે ત્યારે ચારે તરફ ધૂળ જ ધૂળ છવાઈ જાય છે.
અશોક કુમાર દેવપાલ પુસ્તકાલયની જાળવણીની જવાબદારી સંભાળતી ટીમમાં કામ કરે છે. તેઓ કહે છે કે છ મોટા એક્ઝોસ્ટ ફેનની મદદથી પુસ્તકાલયને ભેજ-રહિત રાખવામાં આવે છે; હવાને શુષ્ક રાખવા માટે નિયમિતપણે કપૂર બાળવામાં આવે છે. ફૂગ ન થાય તે માટે “અમે સમયાંતરે પુસ્તકો ખોલીને ખુલ્લી જગ્યામાં તાજી હવામાં મૂકીએ છીએ. અમારામાંના સાતથી આઠ જણ મળીને વર્ષના બે મહિના સુધી આ કામ કરે છે.


ડાબે: પુસ્તકોનો સંગ્રહ. જમણે: અશોક કુમાર દેવપાલ પુસ્તકાલયની જાળવણીની જવાબદારી સંભાળતી ટીમમાં કામ કરે છે
મંદિરના ટ્રસ્ટની 1.25 લાખ વીઘા (આશરે 20000 એકર) જમીન છે જે ભદરિયા ઓરાન (પવિત્ર ઉપવન) છે, સિત્તેરેક વર્ષના કિશોર કહે છે કે અહીંની પરંપરા મુજબ, "(અહીં વાવેલા વૃક્ષોની) એક શાખા પણ કાપી શકાતી નથી." કિશોર 40000 થી વધુ ગાયો માટેની ટ્રસ્ટની ગૌશાળાનું પણ સંચાલન કરે છે. વર્ષમાં આશરે 2-3 લાખ લોકો આ સ્થળની મુલાકાત લે છે; ચાર વાર્ષિક તહેવારો દરમિયાન આવતા સમુદાયોમાં રાજપૂત, બિશ્નોઈ અને જૈન સંપ્રદાયના લોકોનો સમાવેશ થાય છે. હાલ પુસ્તકાલયનું ઉદ્દઘાટન થાય ત્યાં સુધી આ મુલાકાતીઓ પુસ્તકાલય જોવા માટે નીચે આવે છે.
પુસ્તકાલય ઉપરાંત અહીં એક વિશાળ ગૌશાળા (ગાયો માટેનું આશ્રયસ્થાન) છે, 150 કર્મચારીઓ આ ગૌશાળાની દેખરેખ રાખે છે. અહીં ગીર, થરપારકર, રાઠી અને નાગોરી - વિવિધ પ્રજાતિઓની હજારો ગાયો અને બળદ છે. ટ્રસ્ટના પ્રબંધક (એડમિનિસ્ટ્રેટર) અશોક સોદાણી કહે છે, "આ ઉપવન પશુ-પક્ષીઓ માટે છે." જન્મ આપવાની ક્ષમતા ગુમાવી દીધેલા પશુઓને અહીં લાવવામાં આવે છે અને તેમાં 90 ટકા બળદ હોય છે. સોદાણી કહે છે, "અમારી પાસે ગૌશાળા માટે 14 ટ્યુબવેલ છે, અને ટ્રસ્ટ દર વર્ષે ચારા પાછળ લગભગ 25 કરોડ [રૂપિયા] ખર્ચે છે." તેઓ ઉમેરે છે, "હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશથી દરરોજ 3-4 ટ્રકો ભરીને ચારો અહીં આવે છે." તેઓ કહે છે કે આ ગૌશાળાના નિભાવ ખર્ચ માટેના પૈસા દાનમાંથી આવે છે.
ભૂગર્ભમાંથી નીકળી આપણે બહાર ખુલ્લા આકાશ નીચે સૂર્યપ્રકાશમાં આવીએ છીએ ત્યારે હજી પણ ઢોલી સમુદાયના પ્રેમ ચૌહાણ અને લક્ષ્મણ ચૌહાણ મંદિર અને તેની નીચે અને આસપાસના વિસ્તારો પર શાસન કરતા મુખ્ય દેવી શ્રી ભદરિયા માતાના ગુણગાન ગાતા ગાતા હાર્મોનિયમ વગાડી રહ્યા છે.

મંદિર વર્ષ દરમિયાન ઘણા ભક્તોને આકર્ષે છે, અને તેમાંથી કેટલાક પુસ્તકાલયની મુલાકાત પણ લે છે

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં શ્રી ભદ્રિયા માતાજી મંદિરના પ્રવેશદ્વાર પર

મંદિરના મુલાકાતીઓ પુસ્તકાલય જોવા પણ જાય છે, આ પુસ્તકાલય હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે

પુસ્તકાલય 15000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે; તેના સાંકડા કોરિડોરમાં 562 અલમારીઓ હારબંધ મૂકેલી છે, તેમાં બે લાખથી વધુ પુસ્તકો સંગ્રહિત છે

જૂની આવૃત્તિઓ ખૂબ કાળજીપૂર્વક તાળા- ચાવી હેઠળ રાખવામાં આવે છે

કેટલીક 1000 વર્ષ જૂની હસ્તપ્રતો બોક્સમાં રાખવામાં આવે છે, આ હસ્તપ્રતોને ફક્ત પુસ્તકાલયના કર્મચારીઓ માટે જ સુલભ છે

હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી અને બીજા ધર્મોને લગતા ધાર્મિક ગ્રંથો

કુરાનના બહુવિધ સંસ્કરણો અને હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં લખાયેલ બીજા પુસ્તકોની નકલો

પ્રેમચંદના વિવિધ પુસ્તકોનો સંગ્રહ

અમેરિકાના અને ઇંગ્લેન્ડના ઈતિહાસ પરના પુસ્તકો

પ્રસાર માધ્યમો અને પત્રકારત્વ પરના પુસ્તકો

પુસ્તકાલયના સ્થાપક હરવંશ સિંહ નિર્મલનું સમાધિ સ્થળ

પુસ્તકાલયના સ્થાપક, હરવંશ સિંહ નિર્મલે સહી કરેલો પત્ર ધ્યાન ખેંચે એ રીતે પ્રદર્શિત કરેલો છે

ગૌશાળા ( ગાયો માટેના આશ્રયસ્થાન) માં - ગીર, થરપારકર, રાઠી અને નાગોરી એમ - વિવિધ પ્રજાતિઓની આશરે 44000 ગાયો અને બળદો છે

મંદિરની
બહાર
એક
નાનકડું
ધમધમતું
બજાર
છે,
ત્યાં
પૂજા
માટેની
સામગ્રી,
રમકડાં
અને
નાસ્તા
વેચાય
છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક