જેમ જેમ આકાશમાં અંધારું છવાતું જાય છે, તેમ તેમ રંગબેરંગી સીરીયલ લાઈટોથી સજ્જ ઓમ શક્તિનું એક વિશાળ કટ-આઉટ જીવંત થાય છે. બંગ્લામેડના ઇરુલર લોકો હિન્દુ દેવી ઓમ શક્તિને સમર્પિત વાર્ષિક તિમીતિ તિરુવડા અથવા દેવી માટે આગ પર ચાલવાના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
આખી બપોર સળગી રહેલ લાકડું હવે અંગારામાં પરિવર્તન પામી રહ્યું છે; સ્વયંસેવકો તેને ફેલાવીને ઝળહળતા ફૂલોની પથારી જેવું પાતળું સ્તર બનાવે છે, જે ઇરુલર લોકોને તિમીતિને ‘પૂ-મીતિ’ અથવા ફ્લાવર-વૉક તરીકે પણ ઓળખાવે છે.
માહોલ ગરમ છે. આજુબાજુના ગામડાઓમાંથી સેંકડો લોકો ઇરુલર લોકોને આગ પર ચાલતા જોવા માટે એકઠા થયા છે, જેઓ સમગ્ર તમિલનાડુમાં ભક્તો ધરાવતાં ઓમ શક્તિ- બિન-ઇરુલર દેવીમાં તેમની શ્રદ્ધાની પુષ્ટિ કરે છે - જેમને શક્તિ અને તાકાતની અભિવ્યક્તિ તરીકે પૂજવામાં આવે છે.
ઇરુલર સમુદાય (જેને ઇરુલા તરીકે પણ ઓળખવામાં આવે છે), તે તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેઓ પરંપરાગત રીતે કણીઅમ્માને પૂજતા આવ્યા છે, જેમને તેઓ સાત કુમારિકા દેવીઓમાંનાં એક માને છે; દરેક ઇરુલર ઘરમાં કળસમ અથવા માટીનો એક ઘડો હોય છે, જે લીમડાના પાંદડાઓના ગુચ્છ પર મૂકવામાં આવે છે, જે આ દેવીનું પ્રતીક છે.


બંગ્લામેડમાં તેમને સમર્પિત મંદિરમાં (જમણેમાં) કણીઅમ્માના પ્રતીક તરીકે લીમડાના પાંદડા પર મૂકવામાં આવેલ કળસમ (ડાબે)


ડાબે: દેવી ઓમ શક્તિ માટે તિમીતિ તિરુવડાની તૈયારી કરતા, ભીના કપડા પહેરેલા સ્વયંસેવકો લાકડા સમાનરૂપે બળી જાય તેની ખાતરી કરવા માટે આગ લગાવે છે. આગ પર ચાલવાની શરૂઆત થાય તે પહેલાં, તેઓએ આગના ખાડા પર સમાનરૂપે અંગારા ફેલાય તેની ખાતરી કરવી જરૂરી છે. જમણે: ભાઈઓ, જી. ચિન્નાદુરાઈ અને જી. વિનયગામ પૂ-કરાગામ લઈને જાય છે, જે ફૂલોથી સુશોભિત એક મોટો દૂધનો ઘડો છે
ઓમ શક્તિ ઇરુલર દેવી તો નથી, તો પછી બંગ્લામેડના ઇરુલર લોકો તેમનો તહેવાર ઉજવે છે તે પાછળ શું હકીકત છે?
36 વર્ષીય જી. મણિગન્ડન 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ઘટેલી એક ઘટના વર્ણવે છે. તેમનાં બહેનને એક બિન-ઇરુલર યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, ત્યારે જાતિગત તણાવને કારણે તેમના પરિવારને રાતોરાત ચરક્કનુર ગામમાં તેમના ઘરેથી ભાગી જવાની ફરજ પડી હતી. તેમના પરિવારે ચરક્ક્નુર તળાવ પાસે એક નાનકડી ઝૂંપડીમાં આશરો લીધો હતો.
તેઓ કહે છે, “આખી રાત, ત્યાં એક ગરોળીનો અવાજ આવતો હતો, અને તેનાથી આશ્વાસન મળતું હતું. અમે તેને અમ્મન [દેવી]નું શુકન સમજ્યા હતા.” આનાથી અમે એવું સમજ્યા કે ઓમ શક્તિ દેવી હતાં, જેમણે તે રાત્રે તેમનો જીવ બચાવ્યો હતો.
*****
તેઓ યાદ કરીને કહે છે, “જ્યારે અમે નાસી છૂટ્યા, ત્યારે ખોરાક મેળવવો અને કામ શોધવું સરળ ન હતું. મારી મમ્મી ખેતરોમાંથી મગફળી ભેગી કરતી અને અમને ખવડાવવા માટે નાના પ્રાણીઓનો શિકાર કરતી. માત્ર અમ્મને જ અમારી રક્ષા કરી હતી.” [વાંચો: બંગ્લામેડમાં ઉંદરો સાથેના અલગ માર્ગ પર ]
મણિગન્ડનનો પરિવાર અને તેમની સાથે ભાગી ગયેલા કેટલાક અન્ય લોકો આખરે ચરક્કનુર તળાવથી લગભગ એક કિલોમીટર દૂર બંગ્લામેડમાં સ્થાયી થયા અને તેમને તળાવની નજીકના ખેતરોમાં કામ મળ્યું.
શરૂઆતમાં 10 પરિવારોથી પણ ઓછી વસાહતવાળું બંગ્લામેડમાં હવે 55 ઇરુલર પરિવારો રહે છે. સત્તાવાર રીતે ચરક્કનુર ઇરુલર કોલોની તરીકે ઓળખાતી, તે એક શેરી છે, જેમાં રસ્તાની બન્ને બાજુ ઘરોની હરોળ આવેલી છે, જે ખુલ્લી ઝાડીઓથી ઘેરાયેલા છે. વીજળી, જે આખરે લાંબી લડાઈ પછી 2018માં અહીં આવી હતી, અને કેટલાક પાકા ઘરો આ વસાહતમાં ઉમેરાયેલી નવી સવલતો છે. અહીંના ઇરુલર લોકો તેમની આવક માટે દૈનિક વેતનના કામ અને મનરેગા કામ પર નિર્ભર છે. મણિગન્ડન એ બંગાળના મુઠ્ઠીભર લોકોમાંના એક છે જેમણે માધ્યમિક શાળા પૂર્ણ કરી છે.


ડાબે: બંગ્લામેડની બહાર પી. ગોપાલ દ્વારા સ્થાપિત ઓમ શક્તિ મંદિર. મંદિરના પ્રવેશદ્વારને બન્ને બાજુએ નાળિયેર અને કેળના ઝાડથી શણગારવામાં આવ્યું છે, અને પ્રવેશદ્વારની સામે એક નાનો અગ્નિકૂંડ છે. જમણે: પૂર્ણ તોર અથવા માળા વહન કરતા જી. મણિગન્ડન


અમ્મન દેવતાને લઈ જતા ટ્રેક્ટર (ડાબે) પર તોરાને પકડીને ઊભેલા જી. સુબ્રમણી. તે પછી તેઓ અંગારાની પથારી પર ચાલતા લોકોને (જમણે) દોરી જાય છે
અહીં સ્થાયી થયાના થોડા વર્ષો પછી, મણિગન્ડનના પિતા અને ઇરુલર વડીલ, પી. ગોપાલે તેમના મુશ્કેલ સમયમાં તેમની રક્ષા કરવા બદલ અમ્મનનો આભાર માનવા માટે, તળાવની નજીક જાહેર જમીનના એક ટુકડા પર ઓમ શક્તિ દેવીના એક મંદિરની સ્થાપના કરી હતી. તેમણે 2018માં તેમના મૃત્યુપર્યંત તે મંદિરના પૂજારી તરીકે સેવા આપી હતી. મણિગન્ડન કહે છે, “આ મંદિરનું માળખું એક નાનકડી ઝૂંપડીનું હતું. અમે તળાવમાંથી કાદવનો ઉપયોગ કરીને અમ્મનની મૂર્તિ બનાવી હતી. આડી તિમીતિ તિરુવડાની શરૂઆત મારા પિતાએ કરી હતી.”
ગોપાલના અવસાન પછી, મણિગન્ડનના મોટા ભાઈ જી. સુબ્રમણિએ તેમના પિતાની પુરોહિતની ભૂમિકા સંભાળી લીધી હતી. સુબ્રમણી અઠવાડિયામાં એક દિવસ મંદિરની ફરજો માટે સમર્પિત કરે છે; અને બાકીના છ દિવસ તેઓ વેતનનું કામ શોધે છે.
15 વર્ષ કરતાં વધુ સમયથી, બંગ્લામેડના ઇરુલર લોકોએ આખો દિવસ ચાલતા આ કાર્યક્રમમાં ઓમ શક્તિ દેવી પ્રત્યેનું તેમનું વ્રત જાળવી રાખ્યું છે, જે તેમના અંગારા પર ચાલવાથી સમાપ્ત થાય છે. આ તહેવાર તમિલ મહિના આડીમાં ઉજવવામાં આવે છે, જે જુલાઈ-ઓગસ્ટની આસપાસ આવે છે, જે મહિનાઓ ચોમાસાની શરૂઆત સાથે કાળઝાળ ઉનાળાથી રાહત આપે છે. ઇરુલર લોકોમાં આ એકદમ નવી પ્રથા હોવા છતાં, આડી મહિના દરમિયાન તિરુવલ્લુર જિલ્લાના તિરુત્તની તાલુકામાં આ એક સામાન્ય પ્રસંગ છે, જેમાં ભક્તો મહાકાવ્ય મહાભારતનાં દ્રૌપદી અમ્મન, મરિયમ્મન, રોજા અમ્મન, રેવતી અમ્મન અને અન્ય દેવીઓને પ્રાર્થના કરે છે.
મણિગન્ડન કહે છે, “ઉનાળામાં, લોકોને ઘણીવાર અમ્મન [એટલે કે ઓરીનો રોગ] ની બીમારી થાય છે. અમે આ મુશ્કેલ મહિનાઓમાંથી ગુજારો કરવામાં મદદ કરવા માટે અમ્મન [દેવી] ને પ્રાર્થના કરીએ છીએ.” સામાન્ય માન્યતા એવી છે કે બીમારી આપનાર અને તેમાંથી શ્રધ્ધાળુઓને સાજા કરનાર દેવી જ છે, તેનો પડઘો પાડતાં મણિગન્ડન દેવી અને બીમારી બન્ને માટે અમ્મન શબ્દનો જ ઉપયોગ કરે છે.
જ્યારથી ગોપાલે બંગ્લામેડમાં આ ઉત્સવની શરૂઆત કરી છે, ત્યારથી પડોશી ગુડીગુણતા ગામનો એક બિન-ઇરુલર પરિવાર તેના આયોજનમાં સહભાગી થઈ રહ્યો છે. જ્યારે તેઓ પોતાનું ગામ છોડીને ભાગી ગયા હતા, ત્યારે આ પરિવારની ખેતીની જમીનની ઝૂંપડીમાં જ તેમના પરિવારને આશ્રય મળ્યો હતો.


ડાબેઃ પથ્થરની બાજુમાં મૂળ મંદિરની માટીની મૂર્તિ, જેને બ્રાહ્મણ પૂજારી દ્વારા નવા મંદિરની ઇમારતમાં પવિત્ર કરવામાં આવી હતી. જમણેઃ અગ્નિકૂંડ પર ચાલતો એક બિન-ઇરુલર પરિવાર
તે ખેતરના માલિકોમાંના એક 57 વર્ષીય ટી.એન. ક્રિશ્નન, કે જેમને તેમના દોસ્તો પળની તરીકે ઓળખે છે, તેઓ કહે છે, “ઇરુલર લોકો સિવાય, અમારા પરિવારના દસ સભ્યો અને મિત્રો શરૂઆતથી જ આગ પર ચાલી રહ્યા છે.” પળનીના પરિવારનું માનવું છે કે તેમણે ઓમ શક્તિની પૂજા કરવાનું શરૂ કર્યું, તે પછી જ તેમને સંતાન- પ્રાપ્તિ થઈ છે.
તેઓએ ઇરુલરો દ્વારા બનાવેલ મંદિરની સામાન્ય ઝૂંપડીના માળખાને એક નાની પાકી ઇમારત સાથે બદલીને આ દેવી પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ઇરુલરનાં માટીનાં અમ્મનની જગ્યાએ પથ્થરની મૂર્તિ પણ સ્થાપિત કરી હતી.
*****
બંગ્લામેડના ઇરુલર લોકોમાં જેની આતુરતાથી રાહ જોવાય છે એ આડી તિમીતિ તિરુવડાની તૈયારી કાર્યક્રમના થોડા દિવસો અગાઉથી જ શરૂ થઈ જાય છે. જેઓ અગ્નિ પર ચાલવાની ઇચ્છા ધરાવે છે, તેઓ તેમના કાંડાની ફરતે કપ્પુ અથવા પવિત્ર તાવીજ પહેરે છે, અને તહેવારનો દિવસ આવે ત્યાં સુધી એક કડક દૈનિક વ્યક્તિગત આહાર લેવાનું શરૂ કરે છે.
બંગ્લામેડમાં એક નાની દુકાન ચલાવતાં એસ. સુમતી કહે છે, “એકવાર અમે કપ્પુ પહેરીએ, એટલે અમે સ્નાન કરીએ છીએ અને દરરોજ બે વાર મંદિરની મુલાકાત લઈએ છીએ, પીળા વસ્ત્રો પહેરીએ છીએ, માંસ ખાવાનું ટાળીએ છીએ અને ગામની બહાર જવાનું ટાળીએ છીએ.” અમુક લોકો આ પ્રથાને એક અઠવાડિયા માટે અનુસરે છે, તો અમુક લોકો લાંબા સમય સુધી તેને વળગી રહે છે. મણિગન્ડન કહે છે, “જેટલા દિવસો સુધી અમને પોસાય તેટલા દિવસો સુધી અમે એકવાર અમે કપ્પુ પહેરી લીધા પછી ગામ છોડતા નથી.”
ડૉ. એમ. ધમોદરન, જેમણે બિન-લાભકારી સંસ્થા એઇડ ઇન્ડિયા સાથેના તેમના જોડાણના ભાગરૂપે વર્ષોથી આ સમુદાય સાથે નજીકથી કામ કર્યું છે, તેઓ સમજાવે છે કે આ ધાર્મિક વિધિઓ સંસ્કૃતિઓ વચ્ચેના વિચારો અથવા પ્રથાઓના પ્રસાર તરફ નિર્દેશ કરે છે. “કેટલીક પ્રથાઓ, જેમ કે વ્રત રાખવું, ઉપવાસ કરવો, ચોક્કસ રંગનાં કપડાં પહેરવાં અને સામુદાયિક કાર્યક્રમ યોજવો, વગેરે એ ઘણા [બિન-ઇરુલર] સમુદાયોમાં સામૂહિક સ્વીકૃતિ મેળવી છે. આ સંસ્કૃતિ ઇરુલર સમુદાયના ભાગોમાં પણ પ્રવેશી ગઈ છે. ઇરુલર સમુદાયના બધા ગામો આ પ્રથાઓનું પાલન નથી કરતા.”
બંગ્લામેડુમાં, ઇરુલર સમુદાયના લોકો તે દિવસની બધી ધાર્મિક વિધિઓનું સંચાલન કરે છે, અને સજાવટ માટે તેમના નજીવા યોગદાનને એકત્રિત કરે છે. તહેવારની સવારે, તાજા લીમડાના પાંદડાના ગુચ્છ મંદિર તરફ જતા માર્ગ પરના વૃક્ષોની શોભા વધારે છે. સ્પીકર્સમાં મોટા અવાજે ભક્તિ ગીતો વાગે છે. તાજા નાળિયેરના પાંદડાં અને કેળના ઊંચા પાંદડા મંદિરના પ્રવેશદ્વારને શણગારે છે.


(ડાબે) ભોગે ચઢાવેલી બકરી અને મરઘાના લોહીમાં મિશ્રિત ચોખા લઈને જઈ રહેલાં કે. કણીઅમ્મા અને એસ. અમલાદેવી. (જમણે) તેઓ ગામની આસપાસ શુદ્ધિકરણ વિધિના ભાગરૂપે તેને આસપાસ ફેંકી રહ્યાં છે

![Right: Koozhu, a porridge made of rice and kelvaragu [raagi] flour is prepared as offering for the deity. It is cooked for the entire community in large aluminium cauldrons and distributed to everyone](/media/images/08b-20190811-_DSC4561-ST-Our_mud_idol_was_.max-1400x1120.jpg)
ડાબેઃ તિમીતિ તિરુવડા દરમિયાન સમારોહની શરૂઆતમાં, ભીડમાંથી કેટલીક સ્ત્રીઓ લાગણીઓથી અભિભૂત થઈ જાય છે, જેના પાછળ એવું માનવામાં આવે છે કે તેમનામાં દેવીની આત્મા આવી ગઈ છે. જમણેઃ કૂઝુ તરીકે ઓળખાતા ચોખા અને કેલ્વારાગુ [રાગી] ના લોટમાંથી બનાવેલ દળિયાને દેવતાને અર્પણ કરવા તૈયાર કરવામાં આવે છે. તે સમગ્ર સમુદાય માટે મોટા એલ્યુમિનિયમની કઢાઈમાં રાંધવામાં આવે છે અને દરેકને વહેંચવામાં આવે છે
હળદર જેવા પીળા વસ્ત્રો પહેરેલા કપ્પુ પહેરનારાઓ ધાર્મિક વિધિઓ માટે મંદિરમાં આવે છે. દિવસની ઘટનાઓનો આરંભ અમ્મનના અરુવાક્ક અથવા દૈવી શબ્દથી શરૂ થાય છે, જેને તેઓ માને છે કે તે એક માધ્યમ દ્વારા પહોંચાડે છે. મણિગન્ડન કહે છે, “જ્યારે અમ્મન કોઈની સામે આવે છે, ત્યારે તેઓ તેમના માધ્યમથી વાત કરે છે. જેઓ આમાં વિશ્વાસ નથી રાખતા તેઓ મંદિરમાં માત્ર એક પથ્થરને જુએ છે. અમારા માટે, આ મૂર્તિ વાસ્તવિક છે, જેમાં જીવ છે. તે અમારા માટે અમારી માતા જેવી છે. અમે તેની સાથે અમારી પોતાની માની જેમ જ વાત કરીએ છીએ. માતા અમારી સમસ્યાઓ સમજે છે અને સલાહ આપે છે.”
મણિગન્ડનનાં બહેન, કણીઅમ્મા, જેઓ દર વર્ષે અરુવાક્ક પહોંચાડે છે, તેઓ મંદિર અને ગામની સીમાની આસપાસ મરઘા અને બકરાના બલિદાનના લોહી સાથે મિશ્રિત કરેલા ચોખા છાંટે છે. સ્વયંસેવકો ચોખા અને રાગી (ફિંગર મિલેટ) વડે બનાવેલ ગરમ કૂઝુ અથવા પોરીજ રાંધે છે અને સમગ્ર સમુદાયને વહેંચે છે. સાંજની શોભાયાત્રા માટે દેવતાને તૈયાર કરવા માટે બપોરનો મોટાભાગનો સમય એક મોટો તોરા, ફૂલોની માળા અને કેળની દાંડી બનાવવામાં પસાર થાય છે.
વર્ષો જતાં, માટીની ઝૂંપડીની જગ્યા પાકા મંદિરે લીધી, ત્યારથી તહેવારમાં માનવમહેરામણ વધી છે. પળનીના ગુડીગુણતા ગામ સહિત અન્ય પડોશી ગામોમાંથી દર્શકોની વિશાળ ભીડ હવે બંગ્લામેડમાં ફાયર-વૉક જોવા માટે એકઠી થાય છે. મણિગન્ડન કહે છે, “આ તહેવાર ક્યારેય બંધ નથી થયો, કોવિડ દરમિયાન પણ નહીં. જો કે, તે બે વર્ષ દરમિયાન ભીડ ઓછી હતી.” 2019માં, કોવિડ ફાટી નીકળ્યો તે પહેલાના વર્ષમાં, આ ઉત્સવમાં લગભગ 800 મુલાકાતીઓ આવ્યા હતા.
તાજેતરના વર્ષોમાં, પળનીનો પરિવાર તમામ મુલાકાતીઓ માટે મફત ભોજન અથવા અન્નદાન ની જવાબદારી સાંભળી રહ્યો છે. પળની કહે છે, “2019માં અમે બિરિયાની માટે માત્ર 140 કિલો ચિકન પાછળ એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો.” અને ઉમેરે છે કે, મુલાકાતીઓની સંખ્યા હવે કોવિડ પહેલાના દિવસો જેટલી થઈ ગઈ છે. “દરેક વ્યક્તિ કંઈને કંઈ મૂકીને જાય છે.” વધેલા ખર્ચને પહોંચી વળવા માટે પળની હવે તેમના મિત્રો પાસેથી નાણાં એકત્ર કરે છે.
તેઓ જે ગામમાંથી આવે છે, તેના નામ પરથી મંદિરને ગુડીગુણતા ઓમ શક્તિ મંદિર તરીકે ઓળખાવતાં તેઓ પૂછે છે, “જ્યારથી અમે મંદિર માટે મકાન બનાવ્યું છે, ત્યારથી ભીડ વધી જ છે. ઇરુલર લોકો આનું યોગ્ય સંચાલન નહીં કરી શકે, ખરું ને?”


તે સાંજ માટેની શોભાયાત્રા માટે ટ્રેક્ટર તૈયાર કરતા ઇરુલર સ્વયંસેવકો


ડાબેઃ આ સરઘસની શરૂઆત સફેદ કોળાને તોડવાની વિધિ સાથે થાય છે, જેની ઉપર કપૂર પ્રગટાવવામાં આવે છે. જમણેઃ બંગડીના વેપારી એક ગ્રાહકને કાચની બંગડીઓ અજમાવવામાં મદદ કરતી વખતે
*****
મણિગન્ડન કહે છે, “જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું હતું, ત્યારે અમારી માટીની મૂર્તિને પથ્થરની મૂર્તિથી બદલી નાખવામાં આવી હતી; તેઓ કહેતા હતા કે મંદિરોને આ રીતે પવિત્ર કરવામાં આવે છે. અમે તેની બાજુમાં અમારી માટીની મૂર્તિ જાળવી રાખી છે. તે માટી જ છે, જે આપણી રક્ષા કરે છે.”
તેઓ કહે છે, “તેઓએ એક ઐયર [બ્રાહ્મણ પૂજારી] ને બોલાવ્યા હતા, જેમણે અમે અર્પણ કરેલા કાચા ચોખા અને લીમડાના પાન કાઢી નાખ્યા હતા.” અસ્વસ્થતાના આભાસ સાથે તેઓ ઉમેરે છે, “અમે જે રીતે કરીએ છીએ, તેનાથી આ વિપરિત છે.”
માનવશાસ્ત્રમાં એડવાન્સ ડિગ્રી ધરાવતા ડૉ. ધમોદરન કહે છે, “કણીઅમ્મા જેવી દેવીઓની પૂજામાં સામાન્ય રીતે વિસ્તૃત અને સંરચિત ધાર્મિક વિધિઓ નથી હોતી કે ન તો તેમાં આખો સમુદાય જોડાય છે. કર્મકાંડો અને તેને કરવાની ચોક્કસ રીત પર ભાર મૂકવો, અને પછી [ઘણી વખત બ્રાહ્મણ] પંડિતને સામેલ કરીને તેને માન્યતા આપવી, એક નમૂનો બની ગયો છે. તે વિવિધ સંસ્કૃતિઓ દ્વારા પૂજાની અનન્ય રીતોને ભૂંસી નાંખીને પ્રથાની એક જ રીતે નિર્ધારિત કરે છે.”
બંગ્લામેડુ તિમીતિ ઉત્સવ દર વર્ષે વધુ ભવ્ય બનતો હોવાથી, મણિગન્ડન અને તેમના પરિવારને લાગે છે કે આ તહેવાર ધીમે ધીમે તેમના હાથમાંથી સરકી રહ્યો છે.
મણિગન્ડન, કે જેમનો પરિવાર અમુકવાર પળનીના ખેતરોમાં કામ કરે છે, તેઓ કહે છે, “અગાઉ, મારા પિતા [તહેવારના ભોજનનો આનંદ માણ્યા પછી મહેમાનો તરફથી મળતી ભેટની રકમ] મોઈમાંથી ભોજનના તમામ ખર્ચનું સંચાલન કરતા હતા. હવે તેઓ [પળનીનો પરિવાર] એમ કહીને તેનું સંચાલન કરે છે કે, ‘મણિ, તું કપ્પુની વિધિઓ પર ધ્યાન આપ.’”


ડાબેઃ તમિલનાડુ મલાઇવાઝ મક્કલ સંગમ દ્વારા પ્રાયોજિત, કેઝુવારિના વૃક્ષો પર આ કાર્યક્રમની જાહેરાત કરતું બેનર લટકાવવામાં આવ્યું હતું, જે પહાડી જનજાતિઓનું એક સંગઠન છે, જેમાં ઇરુલર સમુદાય પણ આવે છે. ઉપર જમણા ખૂણે સ્વર્ગીય પી. ગોપાલની છબી ચિત્ર છે. જમણેઃ કે. કણી અમ્મન આગને ઓળંગતા પહેલાં, થોડા સમય માટે આગમાં બેસવાનો પ્રયાસ કરે છે. તે એક પરંપરા છે કે જેનું તેમના ભાઈ મણિગન્ડન ગયા વર્ષે તેમના પિતાના અવસાન સુધી દર વર્ષે પાલન કરતા હતા. પરિવારના કોઈ પુરુષ સભ્ય બેસી શકતા ન હોવાથી, કણી અમ્મને તેને પોતાના માથે લઈ લીધું છે. જેઓ આવું કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ એક જોખમી પગલું છે, કારણ કે વ્યક્તિએ તેમના પગને બળી ન જાય તેટલું ઝડપી હોવું જરૂરી છે


ડાબેઃ આગમાં ચાલનરા લોકોને ચંદનની પેસ્ટથી શણગારવામાં આવ્યા છે અને તેઓ લીમડાના પાંદડાના મોટા ગુચ્છ લઈને સળગતા અંગારાઓ પર એકબીજાની પાછળ ચાલે છે. કેટલાંકની સાથે નાના બાળકો પણ છે. જમણે: તે ઘણા લોકો માટે એક ભાવનાત્મક ક્ષણ છે, કે જેમણે આગ પર ચાલવાનું વ્રત લીધું હતું
આ કાર્યક્રમના ફ્લાયરમાં સ્વર્ગીય ગોપાલના વળી મુરઈ (વારસા) ને સ્વીકારતા એક શબ્દ સિવાય ઇરુલર લોકોનો કોઈ ઉલ્લેખ નથી. મણિગન્ડન કહે છે, “અમારે અમારા પિતાનું નામ ઉમેરવા માટે આગ્રહ કરવો પડ્યો હતો. તેઓ ઇચ્છતા ન હતા કે તેમાં કોઈનું નામ દેખાય.”
જો કે, તિમીતિના દિવસે, આગ પર ચાલનારા શ્રધ્ધાળુઓ સ્નાન કરીને પીળાં કપડાં પહેરે છે, તેમના ગળામાં ફૂલોની માળા પહેરે છે, વાળને ફૂલોથી શણગારે છે, તેમના આખા શરીર પર ચંદનની પેસ્ટ અને હાથમાં લીમડાના પવિત્ર ગુચ્છ લઈને તેમની ભક્તિની કસોટી માટે તૈયારી કરતા ભક્તજનો આ આશંકાઓને નેવે મૂકી દે છે. કણી અમ્મન કહે છે, “તે દિવસે એવું લાગે છે કે જાણે અમારી અંદર જ અમ્મન છે. એટલા માટે પુરુષો પણ ફૂલો પહેરે છે.”
જેમ જેમ આગ પર ચાલનારાઓ અંગારાઓના ખાડાને પાર કરવા માટે વારા લે છે, તે દરમિયાન લાગણીઓ શાંતથી માંડીને ઉન્માદ સુધીની હોય છે. કેટલાક મુલાકાતીઓ ખુશ થાય છે, જ્યારે અન્ય લોકો પ્રાર્થના કરે છે. ઘણા લોકો આ દૃશ્યને કેદ કાયમી બનાવવા માટે તેમના મોબાઇલ ફોનના કેમેરાથી તેને કેદ કરી લે છે.
એક સમયે ઇરુલર લોકોના એક નાના મંદિરમાં, એક નવી મૂર્તિ અને મંદિર અને તહેવારના સંચાલનની બદલાતી ગતિશીલતા અને તેનું નામ પણ બદલાઈ ગયું હોવા છતાં, મણિગન્ડન અને તેમનો પરિવાર તેમના જીવનની સુરક્ષા માટે તેમના સ્વર્ગસ્થ પિતાનું તેમના અમ્મનને આપેલું વચન જાળવી રાખે છે અને તેમનો આભાર માને છે. તિમીતિ દરમિયાન, તેમની બધી ચિંતાઓને નેવે મૂકી દેવામાં આવે છે.
નોંધ: આ વાર્તા સાથેની છબીઓ 2019માં લેવામાં આવી હતી, જ્યારે આ રિપોર્ટરે તિમીતિ તહેવારમાં ભાગ લેવા માટે બંગ્લામેડની મુલાકાત લીધી હતી.
અનુવાદક: ફૈઝ મોહંમદ