મારી મા મને ઘણી વાર કહેતી, "કુમાર, જો મેં માછલીઓનું એ વાસણ ઉપાડ્યું ન હોત, તો આપણે આટલા આગળ આવ્યા ન હોત." મારા જન્મના એક વર્ષ પછી તેમણે માછલીઓ વેચવાનું શરૂ કર્યું હતું, અને ત્યારથી માછલીઓ મારા જીવનનો ભાગ બની જવાની હતી.
અમારા ઘરમાં હંમેશા માછલીઓની વાસ આવતી. સૂકવેલી માછલીઓ ભરેલો કોથળો હંમેશા એક ખૂણામાં લટકતો રહેતો. પહેલો વરસાદ આવે ત્યારે કાર્પ માછલી પકડી શકાય, અમ્મા [મા] એ રાંધતી. એ એક સ્વાદિષ્ટ વાનગી છે એટલું જ નહીં એ શરદી મટાડવામાં પણ મદદ કરે છે. અમ્મા માંગુર (કેટફિશ), મરલ (સ્પોટેડ સ્નેકહેડ) અથવા સેલાપ્પીની કરી બનાવે છે ત્યારે આખું ઘર એક સરસ મજાની સોડમથી ભરાઈ જાય છે.
નાનો હતો ત્યારે મારે માછલીઓ પકડવા જવું હોય એટલે ઘણીવાર હું શાળાએ જતો નહોતો. એ દિવસોમાં મદુરાઈના જવાહરલાલપુરમ વિસ્તારમાં બધે જ પાણી હતું - અમારા આખા જિલ્લામાં ઠેર ઠેર કૂવાઓ, નદીઓ, અને નાના-મોટા તળાવો હતા. હું મારા દાદા સાથે એક તળાવથી બીજે તળાવ જતો. અમે એક સ્વિંગ બાસ્કેટ સાથે લઈ જતા, એની મદદથી અમે પાણી ઉપાડતા અને માછલીઓ પકડતા. અમે ઝરણામાંથી પણ માછલીઓ પકડતા, માછલીઓને ફસાવવા અમે પ્રલોભન (બેઈટ) વાપરતા.
અમ્મા અમને ભૂતની વાર્તાઓ કહીને ડરાવતી જેથી અમે વહેતા પાણીની નજીક ન જઈએ, પરંતુ તળાવોમાં હંમેશા પાણી વહેતુ રહેતું, અને અમે હંમેશા પાણીની આસપાસ જ રહેતા. હું ગામના બીજા છોકરાઓ સાથે માછલીઓ પકડવા જતો. હું 10 મા ધોરણમાં પાસ થયો એ વખતે પાણીની અછત ઊભી થઈ હતી, તળાવોના સ્તરમાં ઘટાડો થયો હતો અને ખેતીને પણ અસર પહોંચી હતી.
અમારા ગામ જવાહરલાલપુરમમાં ત્રણ તળાવ હતા - એક મોટું તળાવ, એક નાનું તળાવ અને મારુતંકુલમ તળાવ. મારા ઘર પાસેના મોટા તળાવ અને નાના તળાવ હરાજી કરીને ગામના લોકોને ભાડાપટે આપવામાં આવ્યા હતા. તેઓ તેમાં માછલીઓ ઉછેરતા અને તે જ તેમની આજીવિકા હતી. બંને તળાવોમાંથી તાઈ મહિનામાં (મધ્ય-જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરીમાં) માછલીઓ પકડવામાં આવતી - તાઈ મહિનો માછીમારીની મોસમ ગણાય છે.
મારા પિતા તળાવોની માછલીઓ ખરીદવા જતા ત્યારે હું તેમની સાથે જતો. સાયકલની પાછળ એક સ્ટોરેજ બોક્સ બાંધેલું રહેતું અને અમે માછલીઓ ખરીદવા ઘણા ગામડાઓમાં જતા, કેટલીકવાર તો 20-30 કિલોમીટર દૂર સુધી.

મદુરાઈ જિલ્લાના કલ્લનધીરી ગામમાં માર્ચ મહિનામાં યોજાયેલ માછીમારીના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તળાવમાં માછીમારી કરતા ગ્રામજનો
મદુરાઈ જિલ્લાના ઘણા તળાવોમાં માછીમારીના ઉત્સવો યોજાય છે અને આસપાસના ગામડાઓમાંથી લોકો માછલીઓ પકડવા તળાવ પર પહોંચી જાય છે. તેઓ સારા વરસાદ, સારી ઉપજ અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. લોકો માને છે કે માછલી પકડવાથી સારો વરસાદ થાય છે અને માછીમારીનો ઉત્સવ નહીં યોજાય તો દુષ્કાળ પડશે.
અમ્મા હંમેશા કહેતી કે માછીમારીની મોસમ દરમિયાન માછલીઓનું વજન સૌથી વધારે હોય અને એટલે નફો સારો થાય. લોકો ઘણીવાર જીવતી માછલીઓ ખરીદવાનું પસંદ કરે છે. ઑફ-સિઝનમાં માછલીઓનું વજન ઓછું હોય છે અને પૂરતા પ્રમાણમાં માછલીઓ પકડી શકાતી નથી.
માછલી વેચીને અમારા ગામની ઘણી મહિલાઓને જિંદગી ટકાવી રાખવામાં મદદ મળી હતી; આ ધંધાએ પોતાના પતિને ગુમાવનાર મહિલાઓને આજીવિકા પૂરી પાડી હતી.
માછલીઓએ મને સારો ફોટોગ્રાફર બનાવ્યો. 2013 માં મેં કેમેરા ખરીદ્યો ત્યારે હું માછલી ખરીદવા જઉં તો કેમેરા સાથે લઈને જતો. કેટલીકવાર હું માછલી ખરીદવાનું ભૂલીને માછીમારીની તસવીરો લેવા બેસી જતો. મારો ફોન ન રણકે ત્યાં સુધી હું બધું જ ભૂલી જતો, મોડું થવા બદલ ફોન કરીને અમ્મા મને ઠપકો આપતી. મા મને તેની પાસેથી માછલીઓ ખરીદવા માટે રાહ જોઈને બેસી રહેલા લોકોની યાદ અપાવતી અને પછી હું માછલીઓ લેવા દોડી જતો.
આ તળાવમાં માત્ર માણસો જ હતા એવું નહોતું. તળાવના કિનારે પક્ષીઓ અને પશુઓ પણ હતા. એક ટેલી લેન્સ ખરીદીને મેં જળચર વન્યજીવો - બગલા, બતક, નાના પક્ષીઓ - ના ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. પક્ષીઓ જોવાની અને તેમના ફોટા પાડવાની મને ખૂબ મજા આવતી.
આજકાલ તો નથી વરસાદ ને નથી તળાવોમાં પાણી. અને નથી ત્યાં કોઈ માછલીઓ.
*****

સેંદિલ કલઈ તેમણે પકડેલી કમ્મ પારઈ (રુપચંદ) માછલી બતાવે છે. તેમને તસવીરો પડાવવાનું ગમે છે
મને મારો કેમેરા મળ્યો ત્યારે મેં માછલીઓ પકડવા માટે તળાવોમાં જાળ ફેંકતા માછીમારો - પિચાઈ અન્ના, મોક્કા અન્ના, કાર્તિક, મારુદુ, સેંદિલ કલઈ - ની તસવીરો લેવાનું પણ શરૂ કર્યું. તેમની સાથે તળાવમાં જાળ ફેંકીને માછલીઓ પકડતા હું ઘણુંબધું શીખ્યો. આ બધા માછીમારો મદુરાઈ પૂર્વ બ્લોકના પુદુપટ્ટી ગામ પાસેના એક કસ્બાના છે. આશરે 600 વ્યક્તિઓના આ ગામમાં મોટાભાગના લોકો - 500 લોકો માછીમારી કરે છે અને માછીમારી એ જ તેમની આજીવિકાનો પ્રાથમિક સ્ત્રોત છે.
સી. પિચાઈ 60 વર્ષના માછીમાર છે, તેમણે તિરુનલવેલ્લી, રાજાપાલયમ, તેંકાસી, કરઈકુડી, દેવકોટ્ટઈ વિગેરે સ્થળોએ આવેલા તળાવોમાંથી માછલીઓ પકડવા માટે દૂર-દૂર સુધી મુસાફરી કરી છે. તેઓ 10 વર્ષના હતા ત્યારે પોતાના પિતા પાસેથી માછલી પકડતા શીખી ગયા હતા, અને માછલીઓ પકડવા પિતાની સાથેસાથે ફરતા રહેતા, કેટલીકવાર વધારે માછલીઓ પકડવા ક્યાંક થોડા દિવસો રોકાતા હતા.
પિચાઈએ મને કહ્યું, “વર્ષમાં છ મહિના અમે માછીમારી કરીએ. છ મહિના દરમિયાન અમે પકડેલી માછલીઓ વેચીએ અને બાકીની માછલીઓ સૂકવીએ, જેથી અમને આખું વર્ષ આવક થતી રહે."
તેઓ કહે છે કે આ વિસ્તારમાં જોવા મળતી (સ્થાનિક પ્રજાતિની) માછલીઓ જમીનમાં દટાયેલા અને વરસાદથી પોષાયેલા ઈંડામાંથી જન્મે છે. તેઓ કહે છે, “કેલુતી, કોરવા, વરા, પામ્પુપીડી કેન્ડપુડી, વેલિચી જેવી સ્થાનિક પ્રજાતિની માછલીઓ હવે પહેલા જેટલી મોટી સંખ્યામાં મળતી નથી. ખેતરોમાં વપરાતા જંતુનાશકો તળાવોના પાણીમાં ભળે છે અને તેનાથી તળાવોનું પાણી પ્રદૂષિત થાય છે. આજકાલ બધી માછલીઓ (કૃત્રિમ રીતે) ઉછેરવામાં આવે છે, અને તેમને કૃત્રિમ રીતે પોષવામાં આવે છે, પરિણામે તળાવોની ઉત્પાદકતામાં વધારે ઘટાડો થાય છે."
જ્યારે પિચાઈ પાસે માછીમારીનું કામ ન હોય ત્યારે તેઓ નરેગા (નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ - રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ) હેઠળ સ્થાનિક રીતે નૂર નાલ પની તરીકે ઓળખાતા - નહેરો બાંધવા જેવા દાડિયા મજૂરીના કામ કરે છે અથવા જે મળે તે કામ કરે છે.


ડાબે: વેરાલ માછલી પકડીને ઊભેલા સી. પિચાઈ. જમણે: મોકકા એ વાય. પુદુપટ્ટી વસાહતના સૌથી વધુ અનુભવી માછીમારો પૈકીના એક છે અને તેઓ કહે છે કે આરા, કેન્દઈ, ઓતઈ કેન્દઈ તાર કેન્દઈ, અને કલ્પાસી જેવી સ્થાનિક પ્રજાતિની માછલીઓ તેમને હવે મળતી નથી
બીજા એક માછીમાર, 30 વર્ષના મોક્કા કહે છે કે માછીમારીની સીઝન પૂરી થાય ત્યારે તેમને પણ દાડિયા મજૂરીનું કામ કરવું પડે છે. તેમની પત્ની હોટલમાં પીરસણિયા તરીકે કામ કરે છે અને તેમના બે બાળકો 2 જા અને 3 જા ધોરણમાં ભણે છે.
નાની ઉંમરે મોકકાની માતાનું અવસાન થતા તેમને તેમના દાદીએ ઉછેરીને મોટા કર્યા હતા. તેઓ કહે છે, “મને અભ્યાસમાં રસ નહોતો અને મેં ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું અને બીજા નાનામોટા કામ કર્યા. પરંતુ હું મારા બાળકોને ભણાવવા માગું છું, જેથી તેમને સારી નોકરી મળી શકે.
*****
મલકલઈ માછીમારી માટેની જાળ હાથેથી બનાવે છે, આ કળા તેઓ તેમના વડવાઓ પાસેથી શીખ્યા હતા. 32 વર્ષના મલકલઈ કહે છે, “ફક્ત અમારા ગામ ઓતકડઈમાં અમે હજી આજે પણ માછીમારી માટે હાથેથી બનાવેલી જાળ વાપરીએ છીએ. આજકાલ વપરાતી જાળ મારા દાદા જે જાળ વાપરતા તેના કરતા ઘણી અલગ છે. તે સમયે તેઓ નાળિયેરના ઝાડમાંથી રેસા કાઢી તેને વળ ચડાવી જાળ બનાવતા. તેઓ જાળ ગૂંથવા કોકો પીટ [કોયર] શોધવા જતા, અમારા ગામમાં એ જાળ ખૂબ સારી ગણાતી. લોકો બીજી જગ્યાએ માછીમારી કરવા જતા ત્યારે એ જાળ પોતાની સાથે લઈને જતા.
“માછલીઓ અને માછીમારી એ અમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને અમારા ગામમાં ઘણા માછીમારો છે. કોઈ કુશળ માછીમારનું અવસાન થાય તો અમારું ગામ તેની નનામીમાંથી વાંસની લાકડી લઈને નવી જાળના આધાર તરીકે તેનો ઉપયોગ કરે છે, ગામલોકો આ રીતે તેના વારસાનું સન્માન કરે છે. અમે આજે પણ અમારા ગામમાં આ પ્રથા ચાલુ રાખી છે.


ડાબે: મલકલઈ (આગળ) અને સિંઘમ પાણીમાંથી જાળ ખેંચે છે. જમણે: માછીમારોને પોતાની માછીમારીની જાળ ખેંચવા માટે તળાવમાં ડૂબકી મારવી પડે છે
“અમારા લોકો તળાવનું પાણી જોઈને જ કહી શકે છે કે તેમાંની માછલીનું કદ કેટલું હશે. તેઓ હથેળીમાં પાણી લે, અને જો પાણી ડહોળું હોય તો તેઓ કહે કે માછલીઓ મોટી હશે; જો પાણી ચોખ્ખું હોય તો માછલીઓની સંખ્યા ઓછી હશે.
“અમે આખાય મદુરાઈ જીલ્લાની આસપાસ માછલીઓ પકડવા જતા હતા – તોન્ડી, કરઈકુડી ને છેક કન્યાકુમારીના દરિયા [હિંદ મહાસાગર] સુધી. અમે તેંકાસીના બધા તળાવો પર જતા અને બંધ પર જતા. ક્યારેક ક્યારેક તો અમે લગભગ પાંચ કે 10 ટન માછલીઓ પકડતા, પરંતુ અમારી મજૂરી તો એટલી જ રહેતી, એમાં કોઈ ફેર પડતો નહીં, પછી ભલેને અમે ગમે તેટલી માછલીઓ પકડી હોય.
“એક સમયે મદુરાઈમાં લગભગ 200 તળાવો હતા, પરંતુ ઝડપી શહેરીકરણની સાથે, તળાવો અદૃશ્ય થઈ રહ્યા છે. પરિણામે માછીમારી માટે અમારે બીજા સ્થળોએ જવાની ફરજ પડી છે. જેમ જેમ તળાવો અદૃશ્ય થતા જાય છે તેમ તેમ અમારા જેવા લોકો - પારંપરિક માછીમારો - ની આજીવિકા પર, અમારા જીવન પર વિપરીત અસર પડે છે. માછલીના વેપારીઓને પણ અસર પહોંચે છે.
“મારા પિતાને ત્રણ ભાઈ-બહેન હતા અને મારે ત્રણ ભાઈ-બહેન છે. અમે બધા માછીમારી કરીએ છીએ. હું પરિણીત છું અને મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. અમારા ગામના યુવાનો હવે શાળા-કોલેજોમાં જાય છે પરંતુ તેઓને હજી પણ માછીમારીમાં રસ છે. તેમના શાળા અથવા કૉલેજના સમય પછી બાકીનો સમય તેઓ માછીમારીમાં વિતાવે છે."

મદુરાઈમાં જવાહરલાલપુરમ વિસ્તારમાં ચિન્ના કમ્મા ( નાના તળાવ) નો કિનારો જ્યાં લેખક તળાવમાંથી માછલીઓ ખરીદવા માટે ચાલતા જતા હતા


ડાબે: સ્થાનિક માછીમારો કહે છે કે જ્યારે બંધમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે તળાવો ભરાઈ જાય છે. જમણે: વાય. પુદુપટ્ટી ગામના સી. પિચાઈ તેમની માછીમારીની કુશળતા માટે જાણીતા છે

માછીમારો ઉત્તર મદુરાઈના કુન્નતુરના તળાવમાં માછલી પકડવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ માછીમારી કરવા અને પકડેલી માછલીઓનું પરિવહન માટે જરૂરી તમામ સાધનો લઈ જવા માટે એક મીની ટ્રક ભાડે રાખે છે

માછીમારો મોટી સંખ્યામાં માછલીઓ પકડવા માટે મદુરાઈમાં જવાહરલાલપુરમમાં મોટા તળાવની આસપાસ ફરતા રહે છે

તેઓ માછીમારીની જાળ પાણીમાં નાખીને તળાવમાં ઊંડે સુધી જાય છે

વધુ માછલીઓ પકડવાના પ્રયાસમાં માછીમારો વધુ ઊંડા પાણીમાં ખળભળ કરે છે

જવાહરલાલપુરમના મોટા તળાવમાં પાણીમાંથી જાળ કાઢતા માછીમારો. મોક્કા ( છેક ડાબે) કહે છે કે તળાવના તળિયે પથ્થરો અને કાંટા હોય છે. ' જો કાંટો વાગી જાય તો અમે બરાબર ચાલી પણ શકતા નથી તેથી જાળ ફેંકતી વખતે અમારે ખૂબ કાળજી રાખવી પડે છે'

માછીમારો કુન્નતુરના નાના તળાવમાંથી જાળ ખેંચીને કિનારા તરફ લાવે છે

માછીમારો પકડેલી માછલીઓને છીછરા પાણી તરફ લઈ જાય છે, ત્યાં માછલીઓ એકઠી કરવા અને માછલીઓનો સંગ્રહ કરવા માટે કામચલાઉ માળખું બનાવવામાં આવ્યું છે


સી. પિચાઈ ( ડાબે) એ તેમના હાથમાં કનડી કટલા માછલી પકડેલી છે. રમણ ( જમણે) તેમણે પકડેલી કટલા માછલી બતાવે છે

એમ. મારુદુએ તેમના હાથમાં મુલ્લુ રોહુ કેન્ડા માછલી પકડી છે

માછીમારો દિવસ દરમિયાન પકડાયેલી માછલીઓને ' આપા' નામના કામચલાઉ માળખામાં એકઠી કરે છે જેથી સાંજે એને બજારમાં લઈ જઈને વેચવામાં આવે ત્યાં સુધી એ તાજી રહે

નીર કાગમ ( કોર્મોરન્ટ) જવાહરલાલપુરમના મોટા તળાવમાં સૌથી વધુ જોવા મળતા પક્ષીઓમાંનું એક છે

કુન્નતુર તળાવ પાસે એક ખડક પર બેસીને બપોરનું ભોજન કરી રહેલા માછીમારો

માછીમારો ઘર તરફ પાછા ફરે છે ત્યારે તેઓ તેમની માછલી પકડવાની જાળ ભેગી કરીને તેનું બંડલ વાળી દે છે જેથી તેમને લઈ જવાનું સહેલું પડે

પોતાના કોરાકલને ( તરાપાને) કિનારા તરફ ધકેલતા માછીમારો; એ ભારે છે અને તેમણે પકડેલી માછલીઓ તેમાં ભરેલી છે

માછીમારો તેમણે પકડેલી માછલીઓ કોરાકલમાંથી આઈસ બોક્સમાં ભરી રહ્યા છે, એ માછલીઓ બીજા જિલ્લાઓમાં વેચવા માટે લઈ જવામાં આવશે

એક સમયે મદુરાઈમાં લગભગ 200 તળાવો હતા, પરંતુ ઝડપી શહેરીકરણની સાથે એક સમયે કંઈકેટલાંય લોકોની આજીવિકા જેના પર નિર્ભર હતી તેવા આ જળાશયો લુપ્ત થઈ રહ્યા છે

કુન્નતુરમાં માછલીઓથી ભરેલા આઈસ બોક્સને બજારમાં લઈ જવા માટે ટ્રકમાં ચડાવી રહેલા માછીમારો

જવાહરલાલપુરમના મોટા તળાવ પાસે માછીમારો પાસેથી સીધી માછલીઓ ખરીદવા માટે પોતાના કંતાનના કોથળા લઈને રાહ જોઈ રહેલા સ્થાનિક માછલી વેચનારાઓ

માછીમારીની મોસમ પૂરી થાય અને પાણી સૂકવવાનું શરૂ થાય એટલે માછીમારો કોરાવા અને વેરલ પ્રજાતિની માછલીઓ પકડવા માટે તળાવમાં બાકી રહેલું પાણી પમ્પની મદદથી બહાર ખેંચે છે

કોડીકુલમમાં પાણી સુકાઈ જવા છતાં નાના તળાવમાં હજી માછલીઓ છે

સ્થાનિક પ્રજાતિની ઉલુવા માછલી એ મદુરાઈમાં મળતી માછલીઓમાંથી સૌથી વધુ સ્વાદિષ્ટ જાત છે

માછલી
પકડવાના/
માછીમારીના
ઉત્સવ
દરમિયાન
પોતે
પકડેલી
માછલીઓ
બતાવતો
કલ્લનધીરી
ગામનો
એક
પરિવાર
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક